Bhagavad Gita: Chapter 5, Verse 14

ન કર્તૃત્વં ન કર્માણિ લોકસ્ય સૃજતિ પ્રભુઃ ।
ન કર્મફલસંયોગં સ્વભાવસ્તુ પ્રવર્તતે ॥૧૪॥

ન—નહીં; કર્તૃત્વમ્—કર્તૃત્વાભિમાન; ન—નહીં; કર્માણિ—કર્મો; લોકસ્ય—લોકોના; સૃજતિ—સર્જે છે; પ્રભુ:—ભગવાન; ન—નહીં; કર્મ-ફલ—કર્મોના ફળ; સંયોગમ્—સંબંધ; સ્વભાવ:—પ્રકૃતિ; તુ—પરંતુ; પ્રવર્તતે—કાર્ય કરે છે.

Translation

BG 5.14: ન તો કર્તૃત્વાભિમાન કે ન તો કર્મ કરવાની પ્રકૃતિ ભગવાનમાંથી પ્રાપ્ત થાય છે; ન તો તેઓ કર્મોના ફળનું સર્જન કરે છે. આ સર્વ માયિક પ્રકૃતિના ગુણો દ્વારા કાર્ય કરે છે.

Commentary

આ શ્લોકમાં, પ્રભુ શબ્દનો ઉપયોગ ભગવાન માટે, તેઓ આ વિશ્વના સ્વામી છે એ દર્શાવવા થયો છે. તેઓ સર્વ-શક્તિમાન પણ છે અને સમગ્ર બ્રહ્માંડના નિયંત્રક છે. યદ્યપિ તેઓ બ્રહ્માંડની પ્રવૃત્તિઓનું સંચાલન કરે છે તથાપિ તેઓ અકર્તા રહે છે. ન તો તેઓ આપણા કર્મોના નિર્દેશક છે કે ન તો તેઓ આપણને અમુક ચોક્કસ સત્કર્મ કે દુષ્કર્મ કરીએ, તે અંગે આદેશ આપે છે. જો તેઓ જ આપણા નિર્દેશક હોત તો ઉચિત કે અનુચિત કર્મો અંગેના ઉપદેશનું વિસ્તૃત વર્ણન કરવાની આવશ્યકતા જ ન રહેત. સર્વ શાસ્ત્રોનું સમાપન ત્રણ લાઘવ પંક્તિ સાથે થઈ જતું હોત: “હે આત્માઓ! હું તમારા સર્વ કર્મોનો નિર્દેશક છું. તેથી તમારે એ સમજવાની આવશ્યકતા નથી કે સત્કર્મ કે દુષ્કર્મ શું છે. હું મારી ઈચ્છા અનુસાર તમારી પાસે કર્મ કરાવીશ.”

એ જ પ્રમાણે, આપણા કર્તૃત્વાભિમાનમાં અટકી જવા માટે પણ ભગવાન ઉત્તરદાયી નથી. જો તેમણે હેતુપૂર્વક કર્તૃત્વાભિમાનનું સર્જન કર્યું હોત તો આપણે પુન: આપણા દુષ્કૃત્યો માટે તેમના પર આરોપ મૂકી શકત. પરંતુ વાસ્તવિકતા એ છે કે જીવાત્મા અજ્ઞાનવશ અભિમાન કરે છે. જો જીવાત્મા આ અજ્ઞાનથી દૂર રહેવાનો નિશ્ચય કરી લે તો ભગવાન તેમની કૃપાથી અજ્ઞાન દૂર કરવામાં સહાય કરે છે.

આમ, કર્તૃત્વભિમાનનો પરિત્યાગ કરવો એ જીવાત્માનું ઉત્તરદાયિત્ત્વ છે. આ શરીરનું નિર્માણ માયાના ત્રણ ગુણોથી થયેલું છે અને સર્વ કર્મો આ ગુણો દ્વારા નિષ્પાદિત થાય છે. પરંતુ, અજ્ઞાનવશ જીવાત્મા શરીર સાથે તાદાત્મ્ય સાધીને કર્મોના કર્તાપણાનાં ભ્રમમાં ઉલઝી જાય છે, જે વાસ્તવમાં માયિક પ્રકૃતિ દ્વારા સંપન્ન થયા હોય છે. (શ્લોક સં. ૩.૨૭)

Swami Mukundananda

5. કર્મ સંન્યાસ યોગ

Subscribe by email

Thanks for subscribing to “Bhagavad Gita - Verse of the Day”!